મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેની માતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા મામલે જેલમાં બંધ અર્ણબ ગોસ્વામીને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આજે બોન્બે હાઈકોર્ટે ગોસ્વામીની જામીન અરજી ફગાવી દેધી છે. આ અંગે કોર્ટે અર્ણબ ગોસ્વામીને નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવા કહ્યું છે.


આ અગાઉ અર્નબને મુંબઈ સ્થિત તેના નિવાસથી રાયગઢ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ પર લીધો હતો. શનિવારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે.
અર્નબે મુંબઈ પોલીસ પર ઘણા આરોપો લગાવ્યા હતા

મુંબઈમાં એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્ણબની મુંબઈ પોલીસે 4 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આ અંગે મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તો બીજી તરફ તેમણે ગૃહમંત્રીને કહ્યું હતું કે અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.

નોંધનિય છે કે આ પહેલા અર્ણબે મુંબઈ પોલીસ પર ઘણા આરોપો લગાવ્યા હતા. રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો

આ અંગે પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો.તલોજા જેલમાં જતા સમયે અર્નબે કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. તેને વકીલ સાથે વાત કરવા દેવામાં આવી નથી. કસ્ટડીમાં તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

શનિવારે અર્નબના વકીલે હાઈકોર્ટમાં સ્પ્લિમેન્ટ્રી અરજી કરી હતી, જેમાં અર્નબે દાવો કર્યો હતો કે પોલીસે તેને જૂતા વડે માર માર્યો અને તેને પાણી પીવા પણ દીધું ન હતું. જેને લઈને રાજકારણ ગરમાયું હતું અને બીજેપીના કેટલાક નેતાઓએ મુંબઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને ઘણી જગ્યાએ બીજેપીના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું.
શું હતી ઘટના ?

આ ઘટના અંગે વાત કરવામાં આવે તો મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેની માતા કુમુદિનીએ મે 2018માં આત્મહત્યા કરી હતી. જે અંગે તેમણે લખેલી એક સ્યૂસાઈડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવ્યો હતો. આ સુસાઇડ નોટ મુજબ અર્નબ ગોસ્વામી અને અન્ય આરોપીઓએ નાયકને એક અલગ-અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઇનર રાખ્યો હતો, પરંતુ આશરે 5.40 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું, જેને કારણે અન્વયની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. નાયકે રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો. પૈસાની તંગીના કારણે આખરે અન્વય અને તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી.
