સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ આજે સવારે કહ્યું હતું કે કોવીશીલ્ડ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં બજારમાં આવી જશે. સરકાર કેટલા ડૉઝ ખરીદવા માગે છે એ અમે હજુ જાણતા નથી. અમે સરકારી ઓર્ડરની વાટ જોઇ રહ્યા છીએ. ડ્રગ કન્ટ્રોલર ડાયરેક્ટર જનરલએ અમારી કોવીશીલ્ડ રસીને મંજૂરી આપી દીધી હતી. વાસ્તવમાં ડીસીજીઆઇએ કોવીશીલ્ડ ઉપરાંત ભારત બાયો ટેકની કોવેક્સિનને પણ મંજૂરી આપી હતી.
પૂનાવાલાએ કહ્યું કે અમારી પાસે પાંચ કરોડ ડૉઝ તૈયાર છે. અમે સરકારના ઓર્ડરની વાટ જોઇ રહ્યા છીએ. ફેબ્રુઆરી માર્ચ સુધીમાં તો કોવીશીલ્ડ બજારમાં મળતી થઇ જશે. અમારી રસીની કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ નથી એવો દાવો પણ તેમણે કર્યો હતો. દીર્ઘ સુરક્ષા માટે બે ડૉઝ લેવા જરૂરી બનશે. ત્રણ માસના સમગાળામાં રસી 90 ટકા અસર કરે છે.
ઇમર્જન્સી એપ્રૂવલ મળે એ પહેલાંજ સીરમ ઇન્સ્ટીટ્યુટે પાંચ કરોડ ડૉઝ તૈયાર કરી લીધા હતા. એનો અર્થ એ છે કે કોવેક્સીન અને કોવીશીલ્ડ બંનેના મળીને કરોડો ડૉઝ તૈયાર છે. કોરોના સામે લડવાનું સાધન આ રીતે આપણી પાસે હવે તૈયાર છે. સરકારી તંત્ર કેવી રીતે રસીકરણના કાર્યક્રમનો અમલ કરે છે એના પર ચેપ અટકાવવાનો આધાર રહેશે. કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધન જાહેર કરી ચૂક્યા હતા કે સૌને રસી મફત મળશે. કોઇએ એક પૈસો પણ ચૂકવવાનો નથી.