શામળાજી મંદિર પરિસરમાં આવેલી પૌરાણિક વાવમાં પડી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા પરિવાર સાથે દર્શન કરવા માટે આવી હતી. મહિલા ફોટો પડાવવા જતાં તેણીનો પગ લપસી ગયો હkતો. વાવમાં નીચે પડી જવાને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાનું મોત થતાં દર્શન કરવા આવેલા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ વાવ ખાતે ઘણા સમયથી પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ચાલી રહી છે. હવે આ ઘટના બનતા ફરીથી વાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી ઉઠી છે. મહિલા લપસીને વાવમાં પડી ગઈ હતી તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. એવું લાગી રહ્યું છે કે મહિલા સેલ્ફી કે ફોટો ક્લિક કરાવવા માટે વાવના વચ્ચેના પથ્થર પર ઉતરવા જતી હતી. આ દરમિયાન બેલેન્સ બગડતા નીચે પડી ગઈ હતી. મૃતક મહિલાનું નામ શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે શામળાજી પોલીસે મંદિર પરિસર ખાતે પહોંચીને કાર્યવાહી કરી છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
