રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુંની મુદ્દતમાં વધારો કર્યો છે. 8 મહાનગરમાં 31 જુલાઈ સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ શરૂ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. 20 જુલાઈથી 60 ટકા કેપેસિટી સાથે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ શરૂ કરી શકાશે. લાંબા સમયથી વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ એસોસિએશન દ્વારા માંગ રાજ્ય સરકારે સ્વીકારી હતી.
આ ઉપરાંત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં 100 ટકા અને એ.સી બસમાં 75 ટકા કેપેસિટી સાથે ચાલુ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતિના થઈ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કર્ફ્યું રાત્રે 10 થી સવારે 6 સુધી અમલમાં રહેશે. 1 ઓગસ્ટના સવારે 6 વાગ્યે રાત્રિ કર્ફ્યું મુદ્દત પૂર્ણ થશે.
વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ દ્વારા સરકારની SOPનું પાલન કરવાનું રહેશે. આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.31 જુલાઈ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.
રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ ૭મી જૂને નિર્ણય કરાયો હતો તે મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ.