દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફે અબૂ અકરમનો પણ સમાવેશ થાય છે. અકરમ છેલ્લા 4 વર્ષથી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો.
આ અથડામણની શરૂઆત રવિવારે થઈ હતી અને લશ્કરના એક ટોપ કમાન્ડર સહિત 2 આતંકવાદીઓ ઘેરાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો જેથી આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ન જાય.
પોલીસના કહેવા પ્રમાણે જિલ્લાના ચક એ સાદિક ખાન વિસ્તારમાં આતંકવાદીઓની મૂવમેન્ટ બાદ વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી હતી. શરૂઆતમાં આતંકવાદીઓનો સંપર્ક ન થઈ શક્યો એટલે ઘરે-ઘરે તલાશી કરવામાં આવી હતી. આ કારણે સંતાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પહેલા તો તેમને સમર્પણ માટે કહ્યું હતું પરંતુ તેઓ ફાયરિંગ કરતા રહ્યા હતા.
આ બધા વચ્ચે તેમણે સુરક્ષા કોર્ડન તોડીને ફાયરિંગ કરતા કરતા ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને રોકવા માટેની જવાબી કાર્યવાહીના લીધે અથડામણ શરૂ થઈ હતી અને થોડા સમયમાં જ 2 આતંકવાદીઓ સુરક્ષા દળોની ગોળીઓના નિશાન બન્યા હતા. તેમાં લશ્કરના ટોપ કમાન્ડર અકરમનો પણ સમાવેશ થતો હતો. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે મોડી રાતે આની પૃષ્ટિ કરી હતી.