નવરાત્રીના એક મહિના પહેલાથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે પણ નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં સતત બીજા વર્ષે પણ ક્લબોમાં ગરબા નહીં યોજાય. થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ક્લબોએ નવરાત્રીનું આયોજન રદ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતની ક્લબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે.
એવામાં કોરોનાના કારણે આ વર્ષે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રીમાં આરતી કરશે. મહત્વનું છે કે દર વર્ષે ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા યોજાય છે. કોરોના મહામારીને લઇ ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગયા વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનું આયોજન નહોતું કરાયું.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકાર તરફથી નવરાત્રીના તહેવારને લઈ રાત્રી કર્ફ્યૂમાં મોટી રાહત આપવામાં આવી છે. રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. રાત્રી કર્ફ્યુના સમયમાં એક કલાકની છુટ અપાઈ છે. તો સરકાર રાજ્યમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહવિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે ક્લબ અને પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજાય.