બનાસકાંઠા: દાંતીવાડા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઈકો ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર દંપતી સહિત માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે રહેતા શ્રવણભાઈ ઠાકોર તેમની પત્ની અને બાળકો સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકોના ચાલકે બાઈકને ધડાકાભેર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઈક સવાર દંપતી સહિત માસૂમ બાળકને પણ ગંભીર ઈજા પહોંચતા ત્રણેયનું મોત નિપજયું હતું.
આ બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવી જાણ કરતા દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.