ગુજરાતના કોંગ્રેસ પ્રદશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક થઇ છે. દિલ્હીથી ગુજરાત આવતા જ જગદીશ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી અને ભાજપનો ભુક્કો કોંગ્રેસ બોલાવશે તેવું પણ જણાવ્યું હતું.
જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશનું નેતૃત્વ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, રઘુ શર્માએ અને ગુજરાતના નેતૃત્વએ મારામાં વિશ્વાસ મૂકીને જે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. એટલા માટે હું ગુજરાતના તમામ કાર્યકર્તા અને દિલ્હી હાઈકમાન્ડનો આભાર માનું છું. સમગ્ર ગુજરાતમાં રાજનીતિ બિલકુલ પાયામાંથી કરી છે. વોર્ડ અને તાલુકાના કાર્યકર્તાથી આટલા મોટા પદ પર આવ્યો છું ત્યારે ગુજરાતની રાજનીતિની ધરતીને પણ ઓળખું છું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રણનીતિને પણ ઓળખું છું. કોંગ્રેસના કાર્યકર્તાઓની તાકાત અને 27 વર્ષના સાશનમાં કિન્નાખોરીમાં તેમની સાથે કેવો વ્યવહાર થયો તેને પણ ઓળખું છું. આ બધું જોઈને સમગ્ર તાકાતથી કોંગ્રેસને કામ કરવાની દિશા તરફ આગળ લઇ જઈશ. ગુજરાતમાં કોંગ્રેસ તાકાતથી બજારમાં નીકળવાની, સીટો મુકો કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે આ વાત પર આગળ વધીશું.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું દિલ્હીનું નેતૃત્વ અને ગુજરાતનું નેતૃત્વ સરસ રીતે પ્લાનિંગ અને આયોજનો કરી રહ્યું છે. અત્યારે અમારા જન જાગરણના કાર્યક્રમો ચાલુ છે તેને ચાલુ રાખીશું. અમારા બીજા કાર્યક્રમો જે મોંઘવારી વિરોધના છે તે પણ શરૂ રાખીશું. ભારતીય જનતા પાર્ટીનો ડર ખૂબ જ ગુજરાતમાં છે આ ડરને દૂરને કરવા માટે જે રણનીતિ બનાવવાની પડશે તે અમે રણનીતિ આક્રમક બનાવીશું. જ્યાં અન્યાય થતો હશે ત્યાં અન્યાય કરવાવાળાનો તેમની સાઈડમાં જઈને મુકાબલો કરોશું.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, તે ખૂબ જૂના કાર્યકર્તા છે. દરેક વસ્તુને જ્ઞાતિની નજરથી ન જોવું જોઈએ. હું યૂથ કોંગ્રેસના સમયથી તેમને જોતો આવું છું. તેમને પાર્ટીમાં યુવા કોંગ્રેસમાં કામ કર્યું. ત્યારબાદ અમારા પ્રમુખ સંગઠનમાં પણ અનેક પદો પર કામ કર્યું છે. તેઓ મહામંત્રી રહ્યા છે, ઉપાધ્યક્ષ રહ્યા છે. તેમને લાંબા સમય સુધી પાર્ટીની સેવા કરી છે. તેઓ બે વખત ધારાસભ્ય રહ્યા અને ત્યારબાદ સાંસદ રહ્યા છે. એટલે તે એક લોકપ્રિય ચહેરો છે. તેને જાતિવાદની દૃષ્ટિકોણથી ન જોવો જોઈએ.
મહત્ત્વની વાત છે કે, જગદીશ ઠાકોરને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ પાટણથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. ઠાકોર સમાજમાંથી આવતા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપીને કોંગ્રેસ ક્યાકને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
વિપક્ષ નેતા તરીકે જેમની નિમણૂક થઇ છે તેવા સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત મેળવવા માટે જગડીશ ઠાકોર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં આદિવાસી સમુદાયના મત મેળવવા માટે સુખરામ રાઠવાને જવાબદારી સોંપાય હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 50% વધારે OBC વસ્તી છે. હાલ ઠાકોર સમાજમાંથી 16 ધારાસભ્ય છે. તો બીજી તરફ જગદીશ ઠાકોર તમામ સમાજના આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે.