પંજાબ પોલીસે શનિવારે જાસૂસીના આરોપસર સૈન્યના જવાનની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઑપરેશન સેલે અમૃતસરમાંથી સૈન્યના જવાન કૃણાલકુમાર બારીયાની ધરપકડ કરી છે. આ જવાન મૂળ ગુજરાતનો વતની છે. બારીયા ફિરોઝપુર કેન્ટ ખાતે આઇટી સેલમાં તહેનાત હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બારીયા સોશિયલ મીડિયા ઍપ દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં હતો. આઇટી સેલમાં તહેનાતીનો લાભ ઉઠાવીને બારીયાએ આર્મીને લગતી સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને મોકલી હતી, જેના બદલામાં તેને મોટી રકમ ચૂકવવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કૃણાલ 2020માં ફેસબુકના માધ્યમથી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઑફિસર સીદરા ખાનના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેઓ વૉટ્સએપ તથા અન્ય ઍપના માધ્યમથી સંપર્કમાં હતા.