સુરત : સુરત મહાનગરપાલિકાના રામપરા, વરાછા, લાલ દરવાજા, સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. એક અઠવાડિયાથી પ્રદૂષિત લાલ પાણી આવતા શેરી-શેરીએ આઠથી દસ ઝાડા-ઉલટીના કેસ સામે આવી રહ્યાં છે.
કેટલાક નાના બાળકો અને વૃદ્ધોની તબિયત લથડતા હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી છે. સ્થાનિકોએ પીવાના પાણીની લાઈનમાં ગટરની લાઈન ભળી હોવાની શંકા છે.
જેના પગલે મનપાની હાઈડ્રોલિક વિભાગની ટીમે પાઈપ લાઈનમા ભંગાણ શોધવાની કવાયત હાથ ધરી છે.
વરાછા વિસ્તારમાં ગંદા પાણીની બૂમ વચ્ચે મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત મનપાની ટીમે લાલ દરવાજા અને રામપરા વિસ્તારની શેરીઓમાં ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત એક ધન્વંતરી રથ પણ પહોંચ્યો હતો, જેના મારફતે સ્થાનિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી.