રાત્રે પિતાના નિધનના સમાચાર આવ્યા, બીજે દિવસે ટીમ માટે ઓપનિંગ કર્યું
આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શનિવારે સાંજે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પંજાબના ઓપનર મનદીપસિંઘે આમ તો સાવ નાની ઇનિંગ્સ રમી હતી. તે 14 બોલમાં 17 રન કરી શક્યો હતો પરંતુ આ ઇનિંગ્સ તેને વર્ષો સુધી યાદ રહી જશે કેમ કે આ બેટિગ માટે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.
28 વર્ષીય મનદીપસિંઘના પિતાનું શુક્રવારે રાત્રે નિધન થયું હતું અને શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. એ જ દિવસે સાંજે મનદીપ તેની ટીમ માટે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. એક તરફ પિતાની વિદાયનું દુ:ખ હતું અને બીજી તરફ પ્લે ઓફમાં પ્રવેશવા માટે મથી રહેલી પંજાબની ટીમ માટેની જવાબદારી હતી.
લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જોડી અત્યંત સફળ રહી છે પરંતુ મયંક ઘાયલ થતા તેને સ્થાને મનદીપને ટીમમાં સામેલ કરાયો હતો. આમ મનદીપ પર જવાબદારી આવી પડી હતી. આ તરફ પંજાબમાં મનદીપના પિતા હરદેવ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં હતા. શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ જ કારણસર શનિવારની મેચ દરમિયાન કિંગસ ઇલેવન પંજાબની ટીમના ખેલાડીઓ મનદીપના પિતાના નિધનના શોકમાં કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા.