દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે અને દેશવાસીઓ આતુરતાપૂર્વક તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઈ રહ્યા છે. એવા સમયમાં આસામની સિરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલ (એસએમસીએચ)માં કોવિશિલ્ડ રસીના 1,000 ડોઝની 100 શીશીઓ જામી ગયેલી સ્થિતિમાં મળી આવી છે. આસામના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આસામના બરાક વેલી સ્થિત મુખ્ય હોસ્પિટલ એસએમસીએચમાં રસીના ડોઝના જામી જવાનું કારણ કોલ્ડ ચેઈન સ્ટોરેજમાં ખામી હોઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગના નિદેશક મુનીન્દ્ર નાથ નકાતે કહ્યું કે, અમને અહેવાલ મળ્યા છે કે કોવિશિલ્ડ રસીના ડોઝજામી ગયા છે.
કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે આમ હોઈ શકે છે. તેનું ચોક્કસ કારણ તપાસ થયા પછી જ ખબર પડશે અને તપાસના આદેશ આપી દેવાયા છે. જામી ગયેલા ડોઝની અસરકારક્તા અંગે તેના પરિણામો માટે તેને પ્રયોગશાળામાં મોકલાશે. સ્થાનિક વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હશે તો તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે રાજ્યમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીઓ મોકલવામાં આવી હતી, જેને ૨થી 8 ડિગ્રી તાપમાસનમાં સ્ટોર કરવી પડે છે. આસામને 2,21,500 ડોઝની રસીઓ અપાઈ છે, જેમાં કોવિશિલ્ડના 2,01,500 અને કોવેક્સિનના 30,000 ડોઝનો સમાવેશ થાય છે. રાજ્યને પ્રથમ તબક્કામાં 1,90,000 સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 3,80,000 ડોઝની જરૂર છે.