દિલ્હી NCRમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવાથી લગભગ 5 કરોડ યુઝર્સ પ્રભાવિત થયા છે. ગૃહ મંત્રાલયે રાજધાનીના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ પર રોક લગાવી દીધી છે. જે બાદથી કેટલાક કલાક સુધી ઈન્ટરનેટ યુઝર્સ મુશ્કેલીમાં રહ્યા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હોબાળા બાદ, ગૃહ મંત્રાલયે એનસીટીના સિંધુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
જોકે ગૃહ મંત્રાલયે ઈન્ટરનેટ સેવાઓ, મોબાઈલ અથવા હોમ બ્રૉડબેન્ડ વિશે ખાસ પ્રકારના નિર્દેશ આપ્યા નથી, પરંતુ શહેરના એક મોટા ભાગમાં ઉપયોગકર્તાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર ઓક્ટોબર સુધી દિલ્હીમાં લગભગ 52.72 મિલિયન મોબાઈલ યુઝર્સ છે. આ સિવાય દિલ્હીમાં એક મોટી સંખ્યા વાયર લાઈન બ્રૉડબેન્ડ યુઝર્સની પણ છે જે મોબાઈલ ઉપયોગ કર્તાઓ કરતા વધારે છે.
દુરસંચાર કંપનીઓએ પણ શહેરના મોટાભાગના ભાગોમાં પોતાના ગ્રાહકોને માહિતગાર કર્યા છે કે તેમના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓને આગામી સૂચના સુધી રોકી દેવાઈ છે. ગૃહ મંત્રાલયનો આદેશ 26 જાન્યુઆરીની રાતે 23:59 વાગ્યા સુધી પ્રભાવી હતો પરંતુ હજુ પણ સ્થિતિ અનિશ્ચિત બનેલી છે, એવી આશંકા વર્તાવવામાં આવી રહી છે કે રાજધાનીમાં ઈન્ટરનેટ સેવાઓના પ્રતિબંધના આદેશને વધારી શકાય છે.