રાજ્યમાં હાલ લગ્નપ્રસંગની સિઝન ચાલી રહી છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં વડોદરામાં એક ખુબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ વિદાય વખતે કન્યાનું મોત થયું છે. એટલે કે ખુશીનો ઉત્સવ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં આ બનાવ બન્યો છે. લગ્ન બાદ આજે સવારે કન્યાની વિદાય રાખવામાં આવી હતી. આ દરમિયાન કન્યાને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડી હતી. જે બાદમાં કન્યાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં સોલંકી પરિવાર હતો. તેમના પુત્રી 44 વર્ષના હતા. 44 વર્ષની ઉંમરે લગ્ન નક્કી થયા હતા. અને એક તારીખના રોજ તેઓનાં લગ્ન થયા હતા. અને 3 દિવસ બાદ આજે તેઓની વિદાય વેળા હતી. ઘરમાં વિદાય આપતાં સમયે કન્યાને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સમાં તાત્કાલિક કન્યાને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ કન્યાને મૃત ઘોષિત કરી હતી. હાલના નિયમો મુજબ કોઈપણ વ્યક્તિનાં મોત બાદ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે કન્યાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, કન્યા કોરોના પોઝિટિવ હતી.
કન્યાનું મોત બાદ પરિવારજનોમાં શોકની સાથે ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. હાલ કોરોનાને કારણે સમાજમાં ડરનો માહોલ છે. જેને કારણે સમાજની બીકે હાલ કન્યાના પરિવારજનો સામે આવી રહ્યા નથી. તેવામાં લગ્ન પ્રસંગમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ કન્યાના સંપર્કમાં આવ્યા હશે. તેવામાં લગ્નપ્રસંગમાં હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.