દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી મધ્યપ્રદેશના ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ રહેલી આ યુવતી ગરનાળા પાસે કેવી રીતે પહોંચી? યુવતીએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું? કે પછી કોઈકે આ યુવતીને ટ્રેનમાંથી ધક્કો માર્યો તે હાલ તપાસનો વિષય બની જવા પામેલ છે. ત્યારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ લીમખેડા પોલીસે આ યુવતીનું પેનલ પીએમ કરાવ્યાનું જાણવા મળેલ છે.

મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના સ્ટાફ કોલોનીના રહેવાસી રામકિશોર તિવારીની 23 વર્ષીય પુત્રી સુપ્રીયા ગુજરાતના કચ્છ જિલ્લાના મુદ્રા જેનનગરના રહેવાસી તેમજ વ્યવસાયે ઇન્જીનીયર બનેવી રાજેશ શિવપાલ દ્વિવેદીના ઘરે ગઈ હતી જ્યાંથી ગતરોજ 02.03.2021 ના રોજ સડક મારફતે અમદાવાદ ખાતે આવી હતી. જ્યાંથી ટ્રેન નંબર 01463 સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર B2 ના 33 નંબરની સીટ પર રિઝર્વેશન કરાવી ભોપાલ તરફ જવા રવાના થઇ હતી. જે બાદ આ યુવતી કયાંક ગુમ થઇ ગઈ હતી. તેમજ તેનો આઈકાર્ડ, આધારકાર્ડ સહિતનો સમાન સીટ પરથી મળી આવી હતી.
ત્યારબાદ ગુમ થયેલી સુપ્રીયાના બનેવીએ રતલામ RPF સહીત રેલવેની સંલગ્ન વેબસાઈટ પર સુપ્રીયાની ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોકે સુપ્રીયાનો કોઈ અતોપત્તો હાથ લાગ્યો નહોતો જોકે ત્યારબાદ પણ સીસીટીવી કેમેરાની ફૂટેજોમાં પણ કઈ જાણવા મળ્યું નહોતું.ત્યારે સુપ્રિયા ખરેખર ક્યા ગુમ થઈ ગઈ?તેને લઇ પરિવારજનો સહિત પોલીસ પણ અચંબામાં મૂકાઇ ગઇ હતી. જોકે લીમખેડા તાલુકાના ગોરીયા ગામ નજીક આવેલા બોરિયાલા રેલવે ગરનાળા પાસે ગઈકાલે સવારે સ્થાનિક લોકો પસાર થતાં તેઓની નજર એક મૃતક યુવતી પર પડતા તેઓએ ગામના સરપંચને જાણ કરતા સરપંચે લીમખેડા પોલીસનો સંપર્ક કર્યોં હતો. આ ઘટનાની જાણ બાદ લીમખેડા પોલિસે આ યુવતીની લાશનો કબ્જો મેળવી પીએમ કરવા માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી શોધખોળ હાથ ધરતા ટ્રેનમાંથી ગુમ થયેલી સુપ્રીયા હોવાનું બહાર આવ્યું હતું.
સુપ્રીયાએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું ? કે કોઈકે ધક્કો માર્યો ? ઘુંટાતું રહસ્ય
મુન્દ્રાથી ભોપાલ જવા નીકળેલી સુપ્રીયા સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર B2 ના 33 નંબરની સીટ પર મુસાફરી કરી હતી.ત્યારે આ ટ્રેન લીમખેડાથી આગળ વધી રહી હતી. ત્યારે અંધારી રાતમાં એવી તો શું ઘટના બની?કે સુપ્રીયા સીટ પરથી રેલવેના ગરનાળામાં મૃતક અવસ્થામાં ગરનાળા સુધી પહોંચી? શું સુપ્રીયાએ કોઈક કારણોસર ચાલુ ટ્રેને પડતું મૂક્યું? અથવા અંધારી રાતમાં કોઈકે પોતાની મેલી મુરાદ પુરી પાડવા આ સુપ્રીયાને ચાલુ ટ્રેને ધક્કો માર્યો? જે ખરેખર ઘુંટાતું રહસ્ય છે. જોકે રેલવે પોલિસ સહીત લીમખેડા પોલીસ આ ઘટનાની તપાસમાં જોતરાઈ હોવાનું જાણવા મળેલ છે.
સોમનાથ જબલપુર એક્સપ્રેસ મુસાફરી કરી રહેલી 23 વર્ષીય સુપ્રિયાની લાશ રેલવે ગરનાળા પાસેથી મળી આવી હતી. લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી જોઈ સુપ્રિયાની મોત અંગેનો સાચો કારણ જાણવા પેનલ પીએમ કરાવ્યું હતું. જોકે તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે આશરે 30 થી 40 ફૂટ ઉપરથી પડ્યા બાદ આ યુવતી મોતને ભેટી હશે. પરંતુ મોતનું સાચુ કારણ પેનલ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે અને આગળની તપાસમાં સમગ્ર પ્રકરણમાં સઘળી હકીકત બહાર આવશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો હતો