ગુજરાત સરકારમાં જ સંકલનનો અભાવ હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે કોઈ ખટરાગ કે વિવાદ હોવાનું વારંવાર ભાજપના સિનિયર નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, એવી જ રીતે ફરી એકવાર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આમને-સામને હોવાનું બહાર આવ્યું છે. આરોગ્યમંત્રી તરીકે હાલ કોરોનાની જવાબદારી જેમના શિરે છે એવા ખુદ નીતિન પટેલે અમદાવાદમાં રૂ.1000માં વેક્સિન આપવામાં આવતી હોવાની વાતથી અજાણ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચહેર જવાબ આપ્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા.
ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને સરકારમાં નંબર ટૂનો નાયબ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહેલા નીતિન પટેલનો આવો જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિન પટેલના આ જવાબથી ચર્ચા ચાલી છે કે નીતિનભાઈ પટેલને ખબર નથી કે અમદાવાદમાં કેવી રીતે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આરોગ્યમંત્રીની પરવા કર્યા વિના સીધા જ મુખ્યમંત્રી સાથે બેસીને નિર્ણય કરતા હોવાની સાથે મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આરોગ્યમંત્રીને વિશ્વાસમાં લેવાનું તો ઠીક, જાણ કરવાનું પણ મુનાસીબ ના સમજ્યું હોવાની ચર્ચા જોર પકડવા લાગી છે.