તાઉ-તે વાવાઝોડું દીવના દરિયાથી માત્ર 90 કિ.મી. દૂર છે અને 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તાઉ-તે ચક્રવાત આગળ વધી રહ્યું છે. એવુ માનવામાં આવી રહ્યુ છેકે, વાવાઝોડું રાત્રીના સમયે ગુજરાત પર ત્રાટકી શકે છે ત્યારે તેની એક સેટેલાઇટ ઇમેજ બહાર આવી છે. જેમાં વાવાઝોડાની 35 કિ.મી.નો ઘેરાવો ધરાવતી આંખ દર્શાવવામાં આવી છે. આ ઇમેજમાં ચક્રવાતનું જે ચક્ર દર્શાવવામાં આવ્યું છે તે ક્યાં નુકસાન નોતરશે જોઇ શકાય છે.
ઇમેજ પ્રમાણે આ જિલ્લાઓને વાવાઝોડું ઘમરોડશે
સેટેલાઇટ ઇમેજમાં જોઇ શકાય છેકે ગુજરાત તરફ આગળ વધતુ વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયે ત્રાટકશે ત્યારે આ 35 કિ.મી.ના ઘેરાવમાં તબાહી નોતરશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં તબાહીનું તાંડવ કરી શકે છે.
દરિયો ગાંડોતુર ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડાની અસર ગુજરાતના દરિયામાં જોવા મળી રહી છે. વલસાડથી લઇને વેરાવળ અને જામનગરથી લઇને કચ્છ સુધીના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તારમાં વાવાઝોડું અસર કરવાનું છે ત્યા દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયા વિસ્તારમાં અને ગુજરાતના અન્ય કેટલાક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલા સ્થળોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે.