દ્વારકામાં કોરોનામાં ઘરના મોભીના મૃત્યુ થયા બાદ ઘરના 3 સભ્યોએ પણ આપઘાત કર્યો હતો. પત્ની તેમજ બે પુત્રોએ દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. ગઈકાલે ઘરના મોભી જયેશભાઇ જૈનનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં આવી જતા પગલુ ભર્યુ હતુ. જૈન પરિવારના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઇ છે. સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર દ્વારકામાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જૈન નામના પ્રૌઢને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે રાત્રીના દોઢ વાગ્યે તેમનુ અવસાન થયુ છે.
આજે સવારે જયેશભાઈ જૈનની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ઘરે આવીને જયેશભાઈ જૈનના પત્ની સાધનાબેન તથા બે યુવાન પુત્રો કમલેશ અને દુર્ગેશ જૈને પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા પરિવારના મોભીના અવસાન બાદ તેમના પત્ની અને બન્ને પુત્રોના પણ મોત થયા હતા.
પિતાના મૃત્યુથી પરિવારના સભ્યોને આઘાત લાગતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. એક જ દિવસમાં જૈન પરિવારના 4 વ્યકિતના કોરોના મહામારી અને તેના આઘાતમાં મોત થતા ઘેરો શોક છવાઈ ગયો છે.