શરીરની ઇમ્યુનિટી વધારવાને બદલે મ્યુકર માઇકોસિસ જેવા ચેપી રોગનું કારણ બની શકે છે,છાણ અને ગૌમૂત્ર

0 minutes, 0 seconds Read

કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા ડોક્ટરોએ સલાહ આપી છે. દર અઠવાડિયે હેલ્થ વર્કર સહિત 15 જેટલા લોકો એસજી હાઈવે પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી)ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ડોક્ટરોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની વાત બોગસ છે.

ફાઇલ તસવીર

ડોક્ટરોએ થેરાપીને બોગસ ગણાવી
ડોક્ટરોએ આ નુસખાને બોગસ ગણાવવાની સાથે ગાયના છાણથી શરીરમાં મ્યુકર માઇકોસિસનો ચેપ ફેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર આવેલી એસજીવીપીની ગૌશાળામાં 200 જેટલી ગાયો છે ત્યારે ગાયના છાણથી કોરોના મટી જશે તેવુું માનીને દર રવિવારે હેલ્થ વર્કર્સ સહિત 15 જેટલાં લોકો એસજીવીપીની ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છે.

ફાઇલ તસવીર

થેરેપીને બદલે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી
ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડો. દિલીપ માવળંકરના જણાવ્યા મુજબ, ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરેપીથી કોરોના સામે ઇમ્યુનિટી વધે છે તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, ગાયના છાણ-મૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની આ થેરેપી શરીરના બગાડ સિવાય બીજું કશું નથી. ગાયના છાણ-મૂત્ર ઇમ્યુનિટીને ક્યારેય વેગ આપી શકતાં નથી, જેથી આ થેરેપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે. આથી લોકોએ આ થેરેપીને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર લઈ બહાર આવેલા લોકો મ્યુકર માઇકોસિસથી ગ્રસ્ત થયા હાવોના કિસ્સા વધી રહ્યા છે.

મ્યુકર માઇકોસિસના રોજના 10 કેસ આવે છે
શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પણ મ્યુકોર માયકોસિસના કેસમાં વધારો થતાં સિવિલમાં 110 બેડની વ્યવસ્થા કરાઈ રહી છે અને મ્યુકોર માયકોસિસના રોજના 10થી 12 જેટલા નવા કેસ આવી રહ્યા છે, પરંતુ મ્યુકોર માયકોસિસની સારવારમાં ઉપયોગી એવાં ઇન્જેક્શન શોધ્યે મળ‌તા નથી. આવામાં છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી ઇમ્યુનિટી વધવાને બદલે ફંગલ ઇન્ફેકશન વધતાં મ્યુકોર માયકોસિસ સહિત અન્ય ચેપના કેસમાં વધારો થવાની ભીતિ ડોક્ટરો સેવી રહ્યા છે.

છાણમાં ફંગસ હોવાથી શરીર પર ન લગાવી શકાય
ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, ગાયના છાણમાં ફંગસ હોવાથી તે શરીર પર લગાવવાથી શરીરમાં પ્રવેશીને મ્યુકર માઇકોસિસ જેવાં ફંગલ ઇન્ફેકશન જેવા ચેપનું કારણ બની શકે છે. આથી લોકોએ આ પ્રકારની થેરેપીથી બચવું જોઈએ અને તેને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ તે હિતાવહ છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights