રાજ્યમાં તૌકતે વાવાઝોડાનાં જોખમ વચ્ચે અમદાવાદમાં આજે સાંજનાં સમયે તેજ પવન સાથે વરસાદ થયો છે, જો કે તેનાં પગલે હવામાનમાં શિતળતા પ્રસરી છે, શહેરનાં વેજલપુર, જીવરાજપાર્ક, નરોડા, શિવરંજની, ચાંદખેડા, નવાવાડજ, ઉષ્માનપુરા, નારણપુરા, શાહપુર, પ્રહલાદનગર અને વાસણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદનું હળવું ઝાપટું પડ્યું છે.
અમદાવાદ શહેરનાં હવામાનમાં આ જ સવારથી જ પલટો આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોધપુર,બાપુનગર, વેજલપુર, આંબલી, ઈસ્કોન, ઘોડાસર, મણિનગરમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. રાત્રે 3 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
રવિવારે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો મહત્તમ 45 ડીગ્રીએ પહોચ્યો હતો. અને તેવી પરિસ્થિતીમાં વાવાઝોડાનાં કારણે સુસવાટા મારતો પવન ફુંકાતા શહેરીજનોને કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી, શહેરમાં અસહ્ય ગરમીથી રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. બીજી તરફ સાંજે 6 વાગ્યાની આસપાસ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થયા બાદ વાતાવરણમાં ઉકળાટ અને બફારા અનુભવાયો હતો, શહેરમાં કાળઝાળ ગરમીની સાથે બફારો થતાં નાગરીકો પરશેવે રેબઝેબ થયાં હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવિયર સાઈક્લોન હવે ખતરનાક સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18મેની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.