દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે દર્દીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. જેમાં દવાખાનાની અંદર તોડફોડ કરતાં તબીબો અને તમામ સ્ટાફ સહિત કોરોના ના દર્દીઓમા દોડધામ મચી હતી. પોલીસે આવીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સંગાડા ફળિયા વિસ્તારમા રહેતા એક દર્દીને સારવાર અર્થે લવાયો હતો.જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેને લઇને પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
તબીબની ભૂલના કારણે મોત થયાના આક્ષેપો કર્યા હતા. તેમજ દવાખાનામાં ઘૂસીને તોડફોડ કરી અને સાથે લેબોરેટરી રૂમનો કાચ ફોડી દેવાતા તબીબો, સ્ટાફ અને કોરોના દર્દીઓમા દોડધામ મચી હતી. પોલીસને જાણ કરતા પોલીસ દવાખાના ખાતે દોડી આવ્યો હતો.અને ત્યાની સ્થિતિ કાબૂમાં લીધી હતી. કાચ તોડનારને તુટેલા કાચથી ઇજા થઈ હતી. જેને સારવાર અપાઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સરકારી દવાખાના ખાતે કાયમ માટે પોલીસ પોઈન્ટ મુકવા માટે મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરી હતી.