રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને આપવામાં આવતા અનાજના કૌભાંડો સામે આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં પાટણમાં પણ સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો ઘઉંના અનાજનો જથ્થો સગેવગે કરી બારોબાર નવા ગંજ બજારમાં એક દુકાનમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ સરકારી અનાજના કાળા બજાર મામલે મામલતદારને જાણ કરી સગેવગે કરવામાં આવેલા ઘઉંના અનાજનો જથ્થાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, બુકડી વિસ્તારમાં નિલેશ નામના શખ્સની સસ્તા અનાજની દુકાન આવેલીછે  અહીંથી આ અનાજનો જથ્તો છકડામાં ભરીને નીકળવાનો હોવાની આમ આદમી પાર્ટીના કાર્યકરોને બાતમી મળતા તેમણે વોચ ગોઠવી મામલતદારને જાણ કરી સમગ્ર મામલો ઉજાગર કર્યો છે.

સસ્તા અનાજના દુકાનના ગોડાઉનમાંથી 20 જેટલી ઘઉંની બોરીઓના કટા ભરેને નવા ગંજ બજારમાં આવેલી નરેન્દ્ર દયંતિલાલ પટેલની પેઢી પર ખાલી કરવામાં આવી રહ્યો હતો ત્યારે રેડ પાડવામાં આવી હતી.

મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને સસ્તા અનાજમાંથી લાવેલા માલની ખરાઈ કરીને તમામ માલ સીલ કરી પુરવઠા વિભાગમાં લઈ જવામાં આવ્યો છે અને આ મામલે તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું કે, ગરીબોને મળતા સસ્તા અનાજ તેમને ના આપીને કાળા બજારમાં વહેંચી દુકાનદાર ખોટું કરી રહ્યો હોવાનું અમને જાણવા અને વોચ ગોઠવીને મામલતદારને જાણ કરી આ કાળાબજારીની પોલ ખોલી છે.