મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માતાએ તેના 2 વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો. આ પછી માતાએ તેના દિયરને ઘટના વિશે જણાવ્યું. શરૂઆતમાં લોકોએ તેની વાતને નજરઅંદાજ કરી, પરંતુ સાંજે બાળક ન દેખાતા લોકોએ કૂવામાં શોધ કરી, જ્યાં પુત્રની લાશ પડી હતી.
લાતુર જિલ્લાના નિલંગા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના જિલ્લાના કેલગાંવ વિસ્તારના રાથેડા ગામમાં રવિવારે બની હતી. માયા વેંકટ પંચાલ અને તેના પતિ વેંકટ પંચાલ 2 વર્ષના પુત્ર સમર્થ પંચાલ સાથે રાથેડા ગામમાં રહેતા હતા. એક મહિના પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારથી પતિ વેંકટ પંચાલ 20 કિમી દૂર ઓસા ગામમાં રહેવા લાગ્યો હતો.
લાતુર શહેરથી ઔસા ગામ 30 કિમી દૂર છે. જ્યારથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો ત્યારથી વેંકટ અઠવાડિયામાં એકવાર પુત્ર સમર્થને મળવા ગામમાં આવવા લાગ્યો હતો, પરંતુ પત્ની સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી. રવિવારે માયાએ તેના દિયરને કહ્યું કે તેણે તેના 2 વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો છે. તેને ભાભીની વાત પર ધ્યાન ન આપ્યું અને કામે લાગી ગયા.
કુવામાંથી મળી લાશ
રવિવારે સાંજે ઘરે પરત ફરતી વખતે ભત્રીજો દેખાયો નહીં ત્યારે દિયરને તેની ભાભી માયાની વાત યાદ આવતાં તેણે તુરંત ભાઈ વેંકટને જાણ કરી હતી. વેંકટ તરત જ ગામમાં પાછો ફર્યો અને તેના પુત્ર સમર્થને શોધવા લાગ્યો. કૂવામાં પણ જોયું પરંતુ રાત્રિના અંધારામાં દેખાતું ન હતું, ત્યારબાદ સોમવારે સવારે કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુવામાંથી જ પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.
વેંકટ વિશ્વનાથ પંચાલની ફરિયાદ પર બાળકની માતા માયા પંચાલ વિરુદ્ધ કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. માયા પંચાલની માનસિક સ્થિતિ સારી નથી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે પતિ-પત્ની વચ્ચેના તણાવને કારણે બાળકની હત્યા કરવામાં આવી છે.
આ મામલામાં નિલંગા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર અભિજીત કુદલેએ જણાવ્યું કે માયાને બાળક જોઈતું ન હતું, જેના કારણે તેણે હત્યા કરી. ધરપકડ કરાયેલી માતાએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યાના આરોપી માતાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.