મોરબી : મોરબીના મૂળ તબીબ ડો.પ્રયાગ દવેએ ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે એક લેખ લખ્યો હતો. આ લેખ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આ મેગેઝિન દ્વારા આ લેખ પાંચ દેશોના લોકો સુધી પહોંચ્યો છે.
મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના જયેશભાઈ દવેનાં પુત્ર ડો.પ્રયાગ જે. દવે ભુજ ખાતે આવેલી ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરે છે અને ભુજમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ કરે છે. તેઓએ Covid 19 in India : A new healthcare reform વિષય પર એક લેખ લખ્યો છે.
આ લેખ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરને મોકલ્યો હતો. યુનિવર્સિટીને આ લેખ પસંદ પડતા તેને યુનિવર્સિટીના મેગેઝીનમાં આ આર્ટિકલને સ્થાન આપ્યું હતું.
ભારત ઉપરાંત આ મેગેઝીન પાકિસ્તાન, ઢાંકા, શ્રીલંકા અને ઘાનામાં જાય છે. આમ પાંચ જેટલા દેશોના લોકોએ આ લેખ વાંચ્યો છે. આ લેખમાં ડો. પ્રયાગ દવેએ કોરોના સમયગાળામાં ભારતની સ્થિતિ, ડોક્ટરો ઘરથી દૂર રહી જીવના જોખમે કામ કરતા ત્યારે પેશન્ટની સંખ્યામાં સતત વધારો, મૃત્યુમાં સતત વધારો સહિતની વિષમ પરિસ્થિતિ વચ્ચે તેઓની માનસિક સ્થિતિ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.