અનિલ દેશમુખ વિરૂદ્ધ ચાલી રહેલી તપાસના કેસમાં અભિષેક તિવારી પુણે ગયા હતા અને ત્યાં વકીલ આનંદ ડાગાને મળ્યા હતા. આરોપ પ્રમાણે તેમણે જ તપાસ સાથે સંકળાયેલા મહત્વના દસ્તાવેજ આનંદ ડાગાને સોંપ્યા હતા. ત્યાર બાદ વકીલે સબ ઈન્સ્પેક્ટરને નવો આઈફોન-12 પ્રો આપ્યો જેની કિંમત આશરે એક લાખ રૂપિયા છે. સીબીઆઈના કહેવા પ્રમાણે તિવારી સતત વકીલના સંપર્કમાં હતો.
અભિષેક તિવારીની ધરપકડ બાદ દેશમુખના વકીલની પણ ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે, જે આઈફોન તિવારીને આપવામાં આવ્યો હતો તેને પણ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. તે સિવાય અભિષેકના દિલ્હી અને પ્રયાગરાજ સ્થિત ઘરે પણ તપાસ થઈ રહી છે.
તપાસ રિપોર્ટ લીક થયા બાદ સીબીઆઈએ પહેલા અનિલ દેશમુખના જમાઈની પુછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ કમિશનરે 3 પાનાની ચિઠ્ઠી લખીને પૂર્વ ગૃહમંત્રી દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તપાસ શરૂ થઈ ત્યારે દેશમુખે પોતાના પદેથી રાજીનામુ આપી દીધેલું. જોકે તેમણે આરોપો નકારી દીધા હતા. 24 એપ્રિલના રોજ દેશમુખ અને અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ હતી.