કોરોના મટ્યા પછી હાર્ટ એટેક અને લકવાનું જોખમ, દોઢ મહિનામાં 150થી વધુ મોત

0 minutes, 3 seconds Read

કોરોના મટ્યા બાદ કે રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, ઘરે ગયા બાદ અચાનક જ તબિયત લથડવાના વધુ કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. ઘરમાં જ અચાનક શ્વાસ ફુલવા માંડવો, લકવાની અસર થવી કે હૃદય રોગનો હુમલો આવવો જેવા લક્ષણો અચાનક જ દેખા દે છે. પરિવારજનો દોડધામ કરીને હોસ્પિટલમાં દર્દીને દાખલ કરે છે પણ કમનસીબે ગણતરીના કલાકોમાં જ તેમનું મોત થઇ જાય છે. શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં આવા 150થી 180 જેટલા કેસો આવ્યા હોવાનો તબીબોનો અંદાજ છે.

વિવિધ અંગોને નુકસાન થતા તેની કાર્યક્ષમતા ઘટી જાય છે
તબીબોના મતે કોરોનામાંથી ડિસ્ચાર્જ થઇને ફરી અન્ય રોગનો શિકાર બનતાં તબિયત લથડતી હોય તેવા દર્દીઓ 15 ટકાની આસપાસ હોય છે. તે પૈકીના 10-15 ટકા જેટલાની સ્થિતિ ગંભીર થઇ જાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તબીબોના જણાવ્યા મુજબ કોરોનાને માત આપ્યા બાદ પણ તેને હળવાશમાં લેવાની જરૂર નથી. કારણ કે કોરોનાને લીધે શરીરના વિવિધ અંગોના માળખાને નુકસાન થયું હોય છે તેથી તેની કામ કરવાની તાકાત ઘટી ગઇ હોય છે. જેને લીધે અંગોને શ્રમ પડતો હોય છે. ખૂબ જ ઓછા કિસ્સામાં અન્ય વાઇરસ કે ફૂગ (મ્યુકોર) પણ સક્રિય બનતી હોય છે. જો આ અસર મગજ, હૃદય કે કીડની પર પણ પડે તો હાલત કથળતા વાર લાગતી નથી.

કોરોનામાં લોહી ગંઠાઈ જાય છે
દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર અચાનક જ ઓછું થઇ જાય છે અને હોસ્પિટલ પહોંચે ત્યારે મોડુ થઇ ચૂક્યું હોય છે. આવી સ્થિતિ અંગે તબીબો કહે છે કે, કોરોનામાં લોહી ગંઠાઇ જાય છે, તેથી લોહી પાતળુ કરવાની દવાઓ અપાય છે. જે નિયમિતપણે લેવી જોઇએ. સાજા થયા બાદ પણ દર્દીઓએ- તેમના પરિવારજનોએ પૂરતી સાવચેતી રાખવી જોઇએ. વડોદરામાં છેલ્લા દોઢ મહિનામાં કોરોના બાદ કેટલા લોકોના ઘરે મૃત્યુ થયા છે તે માટે પાલિકાએ અલાયદી ટીમની વ્યવસ્થા કરી છે પણ જ્યારે તેના અધિકારી પાસે માહિતી માંગતા આવા આંકડાઓ અમને આપવાની મનાઇ છે તેવો જવાબ આપ્યો હતો.

શા માટે હૃદયરોગનો હુમલો કે લકવો થાય છે?
કોરોનામાં લોહીનું ગંઠાવું સામાન્ય છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ આ લોહી ગંઠાવાની ક્રિયા ચાલુ જ હોય છે તેથી દર્દીને હોસ્પિટલમાંથી દવાઓ અપાય છે કે તબીબો લખી આપે છે પણ ઘણીવાર દર્દીઓ તેનું ફોલોઅપ ન કરતા પણ લોહી ગંઠાવાનું શરૂ થાય છે( જેને થ્રોમ્બોસિસ કહેવાય છે) પણ દર્દીને તેની જાણ થતી જ નથી. હવે આવું લોહી લોહીની પાતળી નળીઓમાં જાય ત્યારે મુશ્કેલી સર્જાય છે. વળી આવી નળીઓ હૃદય, મગજ અને કિડનીમાં વધુ હોય છે. તેથી જો આવું લોહી હદયમાં જાય તો હાર્ટ એટેક આવે, મગજમાં જાય તો ત્યાં લોહી ન પહોચવાથી લકવો થઇ જાય છે. કીડનીમાં પણ આવા જ કારણસર કામ કરતી બંધ થઇ જાય છે.

આ કિસ્સાઓથી જાણો કે કોરોના મટ્યા બાદ પણ હળવાશથી લેવો નહીં
કેસ સ્ટડી-1: રિપોર્ટ નેગેટિવ આવ્યો ને અઠવાડિયામાં જ મોત

દાંડિયાબજારના 75 વર્ષીય રમણલાલ ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમના પૌત્રી દેવર્ષિના જણાવ્યા મુજબ તેમની ઘરે સારવાર ચાલી રહી હતી. અચાનક 30મી એપ્રિલે અચાનક તેમની તબિયત કથળ્યા બાદ1 લી એપ્રિલે મોત થઇ ગયું.

કેસ સ્ટડી-2: કોરોના બાદ હાર્ટબ્લોકેજ, જિંદગીનો જંગ હારી ગયા
મકરપુરા રોડના સવરનસિંહ મારવાહ (ઉ.વ.74)નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તબિયત કથળતા હૃદયમાં બ્લોકેજ આવ્યાં હતા. તેમના પુત્ર હરજિંદરસિંઘના જણાવ્યા મુજબ અઠવાડિયામાં જ તબિયત બગડ્યા બાદ 30મી માર્ચે સાઇલન્ટ એટેકથી મોત થયું હતું.

કેસ સ્ટડી-3: કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બાદ બે દિવસ પછી મોત
યાકુતપુરાના 45 વર્ષના હુસેન મન્સુરીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો. તેમને સારુ પણ લાગવા માંડ્યું હતું. તેમના પરિવારજનો ઘરે લઇ આવ્યા.જયાં અચાનક તબિયત કથળતા હોસ્પિટલ લઇ જવાયા પણ બે દિવસની સારવાર બાદ મોત થઇ ગયું.

એક્સપર્ટ વ્યૂ: દવા સાથે આહાર-વિહારમાં કાળજી લો

  • કોરોના મટી ગયા બાદ કોમોર્બિડિટી ધરાવતા લોકોએ તળેલા ખાદ્ય પદાર્થોથી પરહેજી જ પાળવી જોઇએ. લોહીની નળીઓ સાંકડી થઇ જાય તો પણ જોખમ રહે છે. કોરોનાને લોહીની નલીકાઓની કામગીરીને પણ અસર થાય છે. દવાઓ અને જરૂર પડ્યે ઇન્જેક્શન પણ લેવા જોઇએ. – ડો. મનન મહેતા, ન્યૂરોફિઝિશિયન.
  • કોરોનામાંથી ડિસ્ચાર્જ મેળવીને આખો દિવસ પથારીમાં પડ્યા રહેવા કરતા હલનચલન થાય તેવી પ્રવૃતિ કરતા રહેવું જોઇએ. જો સારુ લાગે અને ઓક્સિજન લેવલ જળવાઇ રહેતું હોય તો સવાર-સાંજ 5થી 10 મિનિટ ચાલી શકાય. લોહી પાતળુ થવાન સહિતની દવાઓ નિયમિતપણે લેવી જોઇએ. – ડો. નીરવ ભાલાણી, હાર્ટ સ્પેશિયાલિસ્ટ
  • લોહી પાતળુ રાખવાની દવાઓ લેતા આયુર્વેદિક ઉકાળા કે અન્ય અખતરા કરવા જોઇએ નહીં. પેટમાં ચાંદા પડી શકે છે. G6PD ટેસ્ટકરાવ્યા વિના મિથિલિન બ્લ્યુ જેવી દવાઓની અજમાયેશી પણ કરવી જોઇએ નહીં. -ડો. શિતલ મિસ્ત્રી, કોરોના એડવાઇઝર, ગોત્રી હોસ્પિટલ.
author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights