કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ માં સુનાવણી ચાલુ છે. હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટોને લઈ વચગાળાનો હુકમ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહ અને વૃદ્ધાઆશ્રમ માટે મેડિકલ સ્ટાફ તૈનાત કરો. સાથે જ હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે સરકારને તૈયારી કરવા સૂચનો કર્યા છે.
કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટ મહત્વનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ.
સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યં કે, ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની રાજ્ય સરકાર નિયમિત ભરતી કરે. સાથે જ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યુ. હાઈકોર્ટે આકરા શબ્દોમા કહ્યું કે, મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની રાજ્યમાં અછત છે.
સરકાર દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ બનાવે. આ માળખું અને નીતિ બનાવવા માટે તજજ્ઞ સમિતિનો પરામર્શ કરે. ઈન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની નીતિ સરકાર બનાવે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી હતી. જેમાં વેક્સીનેશનનો મુદ્દે અનેક સવાલો કર્યા હતા.