શિક્ષણ જગત પર લાંછન લાગે એવું ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે કૃત્ય કર્યું છે. એક યુવતીના પિતા એવા શિક્ષકે અપરિણીત યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો, પોતાનો ધ્યેય સિદ્ધ થતા શિક્ષકે અંતે યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંજય દલપત વસાવાના માતા અને પિતા એક અપરિણીત યુવતીના ઘરે શિક્ષકના પુત્ર માટે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા. સંજય દલપત વસાવાની પત્નીનું અવસાન થયું હતું અને 13 વર્ષની પુત્રી હોવા છતાં યુવતી લગ્ન માટે સંમત થઈ હતી અને બંને પરિવારોની સંમતિથી લગ્ન કરવાનું નક્કી થયું હતું.
સબંધ નક્કી થયા બાદ શિક્ષક સંજય રાજપીપળા વાડિયામાં વૃંદાવન સોસાયટીમાં યુવતીને તેના અવારનવાર ઘરે લઇ જતો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. અપરિણીત યુવતીએ વિરોધ કર્યો તો, ધમકી આપી કે હું તારી સાથે લગ્ન નહીં કરું. જ્યારે છોકરી ગર્ભવતી થઈ ત્યારે સંજય તેના ગર્ભપાતની ગોળીઓ લાવ્યો અને સ્ત્રીરોગચિકિત્સકની સલાહ પર અન્ય સારવાર કરી.
સંજયે ધીમે ધીમે યુવતી સાથેનો સંપર્ક ઓછો કરી દેતા યુવતીના પરિવારજનોને શંકા જતા યુવતીના પરિવારના સભ્યો જ્યારે સંજય પાસે લગ્નની તારીખ માટે પૂછવા માટે ગયા ત્યારે સંજયે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીએ ગરુડેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંજય દલપત વસાવા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.