Fri. Oct 18th, 2024

રાહતના સમાચાર, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી

દવાની ક્લિનિકલ ટ્રાયલ સફળ થઈ છે. દાવો છે કે જે દર્દીઓ પર તેની ટ્રાયલ કરવામાં આવી તેમાં ઝડપથી રિકવરી જોવા મળી. આ સાથે જ દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા પણ ઓછી થઈ ગઈ. એવો પણ દાવો છે કે આ દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રિપોર્ટ અન્ય દર્દીઓની સરખામણીમાં જલદી નેગેટિવ થઈ રહ્યો છે. એટલે કે તેઓ જલદી સાજા થઈ રહ્યા છે.

કેવી રીતે કામ કરે છે આ દવા?

આ દવા પાઉડર સ્વરૂપમાં આવે છે, જેને પાણીમાં ઘોળીને પીવાય છે. આ દવા સંક્રમિત દર્દીઓની કોશિકાઓમાં જમા થાય છે અને વાયરલ સિન્થેસિસ અને એનર્જી પ્રોડક્શન કરીને વાયરસને વધતા રોકે છે. આ દવાની ખાસ વાત એ છે કે તે વાયરસથી સંક્રમિત કોશિકાઓની ઓળખ કરે છે. હાલ જ્યારે દેશભરમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને દર્દીઓને ઓક્સિજન વિપુલ પ્રમાણમાં જરૂર પડે છે ત્યારે આ દવા ખુબ કારગર સાબિત થઈ શકે છે. દાવો થઈ રહ્યો છે કે દવાના કારણે દર્દીઓએ વધુ દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવવાની જરૂર પણ નહીં પડે.

કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. આ દવા DRDO ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયન્સ સાયન્સિસ (INMAS) અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB) સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને હાલ 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં આવ્યું છે અને તેના મેન્યુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો.રેડ્ડી લેબોરેટરીઝને સોંપવામાં આવી છે.

DRDO ના વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2020માં લેબમાં આ દવા પર એક્સપરિમેન્ટ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરે છે. તેના આધારે DCGI એ મે 2020માં ફેઝ-2 ટ્રાયલ્સ કરવાની મંજૂરી આપી હતી.

ક્લિનિકલ ટ્રાયલમાં શું સામે આવ્યું?

પરિણામ: જે દર્દીઓ પર દવાની ટ્રાયલ કરવામાં આવી તે દર્દીઓ અન્ય દર્દીઓની સરખામણીમાં કોરોનામાંથી જલદી સાજા થયા. ટ્રાયલમાં સામેલ દર્દીઓ બીજા દર્દીઓની સરખામણીમાં 2.5 દિવસ જલદી સાજા થયા.

ડિસેમ્બર 2020થી માર્ચ 2021 વચ્ચે દેશભરની 27 હોસ્પિટલોમાં ફેઝ-III ની ટ્રાયલ કરવામાં આવી. આ વખતે 220 દર્દીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા. આ ટ્રાયલ દિલ્હી, યુપી, બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામા આવી.

જે દર્દીઓને 2-DG દવા આપવામાં આવી તેમાંથી 42 ટકા દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ત્રીજા દિવસે ઓછી થઈ ગઈ. પરંતુ જેમને દવા ન અપાઈ એવા 31 દર્દીઓની જ ઓક્સિજન પર નિર્ભરતા ઓછા થઈ. એટલે કે દવાથી ઓક્સિજનની જરૂરિયાત પણ ઓછી થઈ. એક સારી વાત એ પણ રહી કે આ ટ્રેન્ડ 65 વર્ષથી ઉપરના વૃદ્ધોમાં પણ જોવા મળ્યો.

Related Post

Verified by MonsterInsights