વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં જેટલું પાણી વપરાય છે તેનું 70% પાણી ખેતીમાં વપરાય છે. પાણીના આ વધુ પડતા ઉપયોગ પાછળ સિંચાઇની ખોટી પદ્ધતિઓ છે. જો સિંચાઇ વૈજ્ઞાનિક રીતે થાય તો પાણીની બચત થઈ શકે છે. વિશ્વની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીએ તો ભવિષ્યમાં કૃષિ કાર્યમાં વધારો થશે.
એક અનુમાન મુજબ વર્ષ 2050 સુધીમાં 5,930 લાખ હેક્ટર જમીનની ખેતી માટે જરૂર પડશે. આટલા મોટા પ્રમાણમાં પાણી અને ખેતીલાયક જમીનની ઉપલબ્ધતા મુશ્કેલ છે, કારણ કે વિશ્વમાં ઓદ્યોગિકરણ પણ ઝડપથી ગતિએ થઈ રહ્યું છે. તેથી કારખાનાઓ પણ ચાલુ રહે અને ખેતી માટે જમીન પણ ઉપલબ્ધ રહેવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખી ભારતના બે ઇજનેરો એક નિરાકરણ લાવ્યા છે.
તેઓના નામ અમિત કુમાર અને અભયસિંહ છે. બંને આઈઆઈટી મુંબઈના ગ્રેજ્યુએટ છે. તેઓએ સાથે મળી એકીફૂડ્સ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે રાજસ્થાનના કોટામાં શરૂ કરાયું છે. આ સ્ટાર્ટઅપના માધ્યમથી તેઓએ ખેડુતો માટે હાઇડ્રોપોનિક્સ (Hydroponics) તકનીક વિકસાવી છે, જેમાં ખેતી માટે જમીનની જરૂર રહેતી નથી.
Hydroponics ટેકનોલોજીથી જમીનનો ઉપયોગ કર્યા વિના ખેતી થાય છે અને સિંચાઈ માટે પોષણક્ષમ પાણીનો ઉપયોગ થાય છે. આ તકનીકનો ઉપયોગ કરીને બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ કંપનીએ એક ખાસ ફ્રીઝ બનાવ્યું છે, જેમાં ઘાસચારો ઉગાડવામાં આવે છે. આ ઘાસચારો ઉગાડવા માટે જમીનની આવશ્યકતા રહેતી નથી. 20-25 કિલો ઘાસચારો એક અઠવાડિયામાં ઉગાડવામાં આવે છે જે પોષણયુક્ત હોય છે.
હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી શું છે
આઈઆઈટીના બંને એન્જિનિયરોએ હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી બનાવવા માટે શાકભાજી પર સંશોધન કર્યું છે. ત્યારબાદ ખેતી માટે ચેમ્બર બનાવવામાં આવ્યા છે. તેઓનો દાવો છે કે આ ચેમ્બરમાં છોડ ખેતર કરતા 20 ટકા વધુ ઝડપથી વિકાસ પામે છે, તે પણ માટી વિના. આ ચેમ્બરમાં પોષણયુક્ત પાણીનો ઉપયોગ થાય છે, તેથી શાકભાજીનો સ્વાદ અને પોષણ વધુ જોવા મળે છે. ખેતી સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે થાય છે.
હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી કે જેમાં ખેતી થાય છે તે કોકો પિટ ચેમ્બર હોય છે. આ ચેમ્બર તમામ પ્રકારની શાકભાજી માટે જુદી જુદી હોય છે. સૌથી મોટી વાત એ છે કે આ ખેતીમાં માટીની જરૂર નથી. તે સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત છે.