જૂનાગઢ : ચોમાસાની સીઝનમાં ચાર માસના વેકેશન બાદ આવતીકાલે તા.૧૬ ઓક્ટોબરથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી આવતીકાલથી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે.
ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેમજ ચોમાસામાં જંગલના રસ્તા જઈ શકાય તેવા હોતા નથી આથી.સાસણ ગીર અભયારણ્ય ૧૫ જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. ચોમાસુ પૂર્ણ થતા ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ આવતીકાલે તા.૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. ગીર અભયારણ્ય, સાસણ-ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ વેબસાઇટ પરથી બુક કરી શકાશે.
સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે.