જામનગર:ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળેલા વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા.

પોલીસ સ્ટેશને ઉમટી પડેલા વેપારીઓમાં આક્રોશ
પોલીસ સ્ટેશને ઉમટી પડેલા વેપારીઓમાં આક્રોશ

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી કૃણાલ દેસાઈ પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી દોષિત પીએસઆઈ એમ.એન. જાડેજા, મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ છતાં પણ વેપારીઓનો રોષ શાંત ન થયો અને પોલીસ ત્રાસના વિરૂદ્ધમાં આવતીકાલે રવિવારે ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે. પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દોષિત પોલીસમેનો સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા (ઉ.વ.48) નામના વેપારી બીજા માળે ઓફિસે બેઠા હતા, બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીની આંખ માંડ બચી છે.

જે પોલીસ સામે માર મારવાના આક્ષેપ થઈ રહ્યા છે તે પોલીસ અઠવાડિયા પહેલા ધ્રોલ શહેરમાં ચેકીંગમાં હતી ત્યારે એક દંપતિ મોટરસાયકલ પર જતું હતું જેમાં પુરૂષનો માસ્ક મોઢેથી નીચું હતું જેને જોઈ જતાં પોલીસે દોટ લગાવી તેની ગાડીનું હેન્ડલ પકડી લીધુ હતું જેના કારણે ગાડી નીચે પડી ગઈ હતી અને પાછળ બેસેલી મહિલાનું માથું ફાટી ગયું હતું. આ બાબતે ભારે બબાલ થઈ હતી અને માફામાફીના અંતે પોલીસ ફરિયાદ થઈ ન હતી.

ધ્રોલમાં નાના વેપારીઓ ધંધા કરે છે તેને માસ્ક બાબતે પોલીસનો ખૂબજ ત્રાસ છે, અમે આ બાબતે એસપીને રજૂઆત કરી છે અને વેપારીઓએ બંધનું એલાન પણ આપ્યું છે. – નરેશ પુજારા, ખજાનચી, ચેમ્બર ઓફ કોમર્સ.

અમે પોલીસને રજૂઆત કરી છે, સામાન્ય બાબતમાં વેપારીને માર માર્યો છે, વેપારીની પરિસ્થિતિ ખરેખર જાણવી જોઈએ અને જવાબદાર પોલીસ સામે સખત કાર્યવાહી કરી અમને આ ત્રાસમાંથી છૂટકારો અપાવવો જોઈએ. – જયંતિભાઈ પટેલ, મંત્રી, ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ.

અમે લોકોએ ડીવાયએસપીને મોખિક રજૂઆત કરી છે કે, ડી-સ્ટાફના બે જમાદાર મહિપતસિંહ સોલંકી અને ભીમાણી દંડ કરે છે તો તે ઠીક પરંતુ વેપારીઓને હેરાન કરી માર મારે છે, વેપારીઓને હેરાન કરવાનું બંધ થવું જોઈએ. – ગૌરવ મહેતા, પ્રમુખ, હિન્દુ સેના, ધ્રોલ.

મારું ગાડી ધોવાનું સર્વિસ સ્ટેશન છે, હું પાણી વેચાતું લઈ ગાડી ધોવાનો ધંધો કરું છું. પોલીસ મફતમાં વાહન ધોવડાવી જાય છે, પૈસા માગું તો ધમકાવે છે અને ફોટા પાડીને પોલીસ સ્ટેશન બોલાવે છે. – રમેશભાઈ, સર્વિસ સ્ટેશનના વેપારી.

ધ્રોલમાં પોલીસનો ત્રાસ ખૂબ છે, હું દુકાને પાણી પીતો હતો ત્યાં બે પોલીસવાળા આવીને મને માસ્ક અંગે ધમકાવવા લાગ્યા અને દંડ ભરવાનું કહેવા છતાં મને ધરાર પોલીસ સ્ટેશન બોલાવી મારા કાગળો કર્યા હતા. – દિલીપભાઈ શાહ, વેપારી.

ધ્રોલમાં બનેલી ઘટના અંગે હું ખૂદ ત્યાં પહોંચી ગયો છું અને વેપારીઓ અને લોકો સાથે વાત કરી છે. જે વેપારીને માર મારવામાં આવ્યો છે તે રાજકોટ હોય, ફરિયાદ લેવા પોલીસને રાજકોટ મોકલવામાં આવી છે તેની ફરિયાદ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. – કૃણાલ દેસાઈ, ડીવાયએસપી, ગ્રામ્ય.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights