ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી. તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આજે નીજ મંદિર પરત આવ્યા હતા ત્યારે આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને 2 દિવસ બાકી છે.
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે, ત્યારે આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજા વિધિ કરી હતી. ગર્ભગૃહના કપાટ ખુલતાની સાથે જ ‘જય રણછોડ માખણચોરના નાદ’ સાથે ભકતોએ ભગવાનના દર્શન કર્યા હતા. મંદિરના મહંત દિલીપદાસજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગવા અંદાજમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક ધૂન ગુંજી રહી છે ‘રાજ્યનો નાથ રાજા રણછોડ છે’ આ માત્ર ધૂન નથી આ રથયાત્રા જોડે અમદાવાદના લોકોની આસ્થા છે અને આ રથયાત્રા આસ્થા અને વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે.