દેવભૂમિ દ્વારકામાં વીજ-કરન્ટ લાગતાં 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં હોવાની ઘટના સામે આવી છે. બે અલગ અલગ ઘટનામાં આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થતાં PGVCLની બેદરકારી સામે લોકો આક્ષેપો સાથે રોષ ઠાલવી રહ્યા છે.
લોકોનો આક્ષેપ છે કે PGVCLની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જુદી-જુદી બે ઘટનાઓમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગઢકા ગામે 8 વર્ષની બાળકી ઉપર જીવતો વીજવાયર પડતાં તે મોતને ભેટી છે. બીજીતરફ ચાસલાણા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ લાઈટ રિપેર કરવા થાંભલા પર ચઢતાં તેને વીજકરંટ લાગ્યો. તેને બચાવવા જતા બીજા એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો. ઘટનામાં 30 વર્ષના અરજન કાગડિયા અને 47 વર્ષના ખેડૂત બાલાગર રામદતીનું મોત થયું છે.
કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિને વીજ કરન્ટ લાગ્યા બાદ બીજા વ્યક્તિએ બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા મોત નીપજ્યું. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું. બાળકી ખેતરમાં રમતી વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું. વીજ કરન્ટ ની બે ઘટનામાં કુલ 3 મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.