ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ સમયાંતરે તેનું સ્વરૂપ બદલે છે. તો સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર માટે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો. પણ હવે દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. તેનું નામ ઓમીક્રોન આપવામાં આવ્યું છે. ઓમીક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં ખૂબ ઘાતક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ ઓમીક્રોન વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ એક પછી એક ઓમીક્રોનના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાનો આ નવો વેરિયન્ટ ગુજરાતમાં સંક્રમણ ન ફેલાવે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા વિદેશથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે અને તેમને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
જામનગરમાં ઓમીક્રોનનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ દર્દીના સેમ્પલ લઇને તેને ટેસ્ટીંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં પણ 2 ઓમીક્રોનના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી આ બંને દર્દીઓના સેમ્પલ લઇને તેને ટેસ્ટીંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ બંને દર્દી કોરોના સંક્રમિત થવા પાછળ નવી ઓમીક્રોન વેરિયન્ય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો આ બને દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે અને આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ અમદાવાદમાં પણ ઓમીક્રોનનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. રાણીપમાં રહેતા એક દર્દીને ઓમીક્રોનના શંકસ્પદ લક્ષણો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલ લઇને તેને પૂણેની લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, રાણીપથી દાખલ થયેલો વ્યક્તિ ઓમીક્રોન સંક્રમિત નથી. હાલ ઓમીક્રોનને લઇને સિવિલ તંત્ર એલર્ટ મોડ પર છે. સિવિલમાં 1200 બેડ કોરોના હોસ્પિટલ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 350 વેન્ટીલેટર છે અને 850 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં જે સમસ્યા ઉદ્ભવી હતી તે ફરીથી ન ઉદ્ભવે એટલા માટે 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેંક પણ મૂકવામાં આવી છે.