ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક અન્વયે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો.
કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે.
2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે અને વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે. ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભાજપને સતત સફળતા મળી રહી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે, ગુજરાતમાં પર્ફોમન્સનું પોલિટિક્સ છે.
મુખ્યમંત્રી અને સંગઠનના લોકોએ એ કરી બતાવ્યું છે. હું સી.આર પાટીલ, વિજય રૂપાણીથી લઇને તમામ લોકોને હું તેનો શ્રેય આપુ છું. ભાજપની ગુજરાતની છબી આખા ભારતમાં જોવા મળી રહી છે, જેનો શ્રેય તમામ કાર્યકર્તા ભાઇઓ-બહેનોને જાય છે.
વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને પુપ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.