Sun. Sep 8th, 2024

અમદાવાદમાં લવ જેહાદ મામલામાં યુવક અને શાહીબાગ PI અને PSIની મિલીભગતનો પરિવારે કર્યો આક્ષેપ

અમદાવાદના એક લવ જેહાદના મામલામાં શાહીબાગમાં રહેતી યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાના કિસ્સામાં શાહીબાગ PI અને PSIઓ સામે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, યુવતીને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સાથે મળી ભગાડી જવામાં મદદ કરી છે. આ મામલે યુવતીના પરિવારજનોએ ઝોન 4 DGPને ફરિયાદ આપી છે. આ મામલે યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, યુવતીની ગુમ થયાની ફરિયાદ 15 માર્ચના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

આ અંગે ઝોન-4ના DCP રાજેશ ગઢિયાએ મામલાની તપાસના આદેશ આપ્યા છે. હવે આ તપાસ ACP એફ ડિવિઝન કરશે.પરિવારજનોના આક્ષેપ મુજબ, આ મામલે આણંદ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવકને પકડી લાવ્યા હોવાથી યુવતીના માતા-પિતા અને પરિવારના સભ્યો સાથે ગાડીમાં આણંદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અસારવા પોલીસચોકીના 2 પોલીસકર્મીઓ આવ્યા હતા. પરંતુ આણંદ પોલીસ સ્ટેશનમાં યુવતીને મળતાં પરિવારના સભ્યો સાથે વર્તન બદલાઈ ગયું હતું. પોલીસકર્મીઓ વિધર્મી યુવક સાથે મળી ગયા હોય તેમ ડરાવવા અને ધમકાવવા લાગ્યા હતા.

યુવતીના પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યા કે, આણંદથી વિધર્મી યુવક અને યુવતી સાથે પરત આવતા ગાડીમાં પણ કેસ ફેરવી નાખવાની ધમકી આપી હતી. શાહીબાગ અસારવા પોલીસ ચોકી પહોંચ્યા બાદ ત્યાં PI , PSI સહિતના પોલીસકર્મીઓ હાજર હતા જ્યાં યુવતી સાથે બરાબર વાતચીત થવા દીધી ન હતી અને વિધર્મી યુવક સાથે કાયદેસરના લગ્નની તપાસ કર્યા વગર ડરાવી ધમકાવી અને સમજ વગર વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાં પહોંચવાનું કહી સિવિલ ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા.જ્યાં ગાડીઓ બદલી અને સીટીએમ હાઇવે પર PI જાડેજા અને PSI પૂનમ ચૌધરી કાયદેસરની તપાસ કર્યા વગર ભગાડી ગયા હતા. પોલીસ અધિકારીઓએ નાણાંકીય લેવડ દેવડ કરી હોય તે શંકાના આધારે તેઓની સામે તપાસ અને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ સમગ્ર લવજેહાદની ઘટનામાં આણંદના બુટલેગર લવિંગ ખાનનો હાથ અને આણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફ અંકિત રાઠોડની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. PI જાડેજાએ લગ્નનો પુરાવો બતાવ્યા વગર કહ્યું લગ્ન થઈ ગયા છે અને ફરિયાદીને ગેરમાર્ગે દોર્યા છે. જેથી લવજેહાદની ઘટનામાં પોલીસ અધિકારીઓની સંડોવણી ગંભીર બાબત છે જેની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ છે.આ મામલે સોમવારે રાતે શાહીબાગ પોલીસ સ્ટેશનની બહાર હિન્દૂ સંસ્થાના કાર્યકરો અને આગેવાનો ટોળે વળ્યાં હતા. લવ જેહાદાના કેસમાં પીઆઈએ મદદ કરી હોવાની વાત ચર્ચામાં આવતા લોકો વિરોધ કરતા હતા. આ બધાની વચ્ચે લોકોએ હોબાળો કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા અને કાયદાની બહાર જઈને કામ કરનાર પીઆઈ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

Related Post

Verified by MonsterInsights