રાજય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ત્યારે ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ કરી છે. રિપિટર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં આવે તો વાંધો ન આવે તેવી રજૂઆત કરાઇ છે. 3 લાખ 70 હજાર જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરી છે.
સરકારે ઉતાવળે નિર્ણય કરતા ધો.10ની પરીક્ષા રદ તો કરી દીધી છે અને માસ પ્રમોશન આપવાનું નક્કી કરી નાખ્યુ છે ત્યારે હવે પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને 8.37 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને કયા આધારે માસ પ્રમોશન આપવુ તે મોટો પ્રશ્ન છે.
ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યુ છે ત્યારે હવે ધો.10નું પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને કયા માપદંડોને આધારે પ્રમોશન આપવુ તેમજ ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશ માટે કયા કયા નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દે સરકારે કમિટી રચવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12 સાયન્સ અને સા.પ્ર.ની પરીક્ષા લેવાશે અને તે જુનના બીજા કે અંતિમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા છે.
બોર્ડ પરીક્ષાના ઈતિહાસમા પ્રથમવાર માસ પ્રમોશન આપવામા આવનાર છે ત્યારે આટલા મોટા સંવેદનશીલ અને મહત્વના નિર્ણય માટે સરકારે સૂચનો લેવાની જરૂર હતી. સરકાર દ્વારા પૂર્વ આચાર્યો તેમજ ટેકનિકલ શિક્ષણના એક્સપર્ટસ સહિતના એક કમિટી રચાશે. જેમાં બોર્ડના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બહારના સહિતની 8થી10 સભ્યોની કમિટી બનશે.
સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડને નામ નક્કી કરવા આદેશ કર્યો છે.થોડા દિવસમાં કમિટી રચાઈ જશે અને જે તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી સરકારને રિપોર્ટ આપશે. આ કમિટી ધો.10નું પરિણામ કયા માપદંડોને આધારે તૈયાર કરવુ અને ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશમાં કેવા નિયમો રાખવા તથા કઈ રીતે મેરિટ તૈયાર કરવુ તે સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરશે.
શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ ધો.10ની જેમ ધો.12ની પરીક્ષા રદ નહી થાય અને ધો.12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ લેવાશે. પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષા કયારે લેવી તેનો નિર્ણય કરાશે.