ધોરાજીમાં મુસ્લિમ શખ્સે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિન્દું ધર્મમાંથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા ધમકી આપી હતી. આ અંગેની લવજેહાદની રાજકોટ જિલ્લામાં પ્રથમ ફરિયાદ 5 દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના આધારે આજે ધોરાજી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધર્મ અંગીકાર કરાવવા માનસિક ત્રાસ આપતો હોવાનું ખુલ્યું હતું.
આ અંગે જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, ધોરાજીના રાધાનગરમાં રહેતો મોહમદ ઉર્ફે ડાડો ગની સમા પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન ન થયાનું જણાવ્યું હતું. અને યુવતીને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યા હતા. અને અવારનવાર મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરતો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, લગ્નની લાલચ આપી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ તેની સાથે જાતીય સંબધ બાંધ્યો હતો. દુષ્કર્મ આચરીને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરતો હતો. આથી યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે અમે મોહમદ સમા વિરૂદ્ધ આઇપીસી 376(2)એન, 506(2), ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સૂધારો) અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ વડોદરાની યુવતીને તરસાલીના મુસ્લિમ યુવકે પોતે ખ્રિસ્તી હોવાનું કહીને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં મીઠી ભાષા બોલતો સેમ માર્ટિન અસલમાં સમીર કુરેશી હોવાનું જાણતાં યુવતી અને તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અનેકવાર શારીરિક શોષણ કર્યા બાદ બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવી લેનાર સમીર અને તેના પરિવારે યુવતીને તું હવે મુસ્લિમ બની ગઈ છે એમ કહી મંદિરે જવા પર અને કપાળમાં ચાંદલો લગાવવા સહિતની પાબંદીઓ લગાવી અત્યાચાર ગુજારવારનું શરૂ કર્યું હતું. બાદમાં આ શખ્સ વિરૂદ્ધ લવજેહાદની ફરિયાદ નોંધાવી હતી.
નીરજ જૈન, પ્રાંત વિધિ પ્રમુખ, ગુજરાત હિન્દુ જાગરણ મંચે કહ્યું હતું કે, ગુજરાત સરકારે નવા કાયદાનું જલદીથી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, જેનાથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે. ગુજરાતમાં કોઈની પણ દીકરી હોઈ તેની સાથે અન્યાય થયો હોય, ધર્મપરિવર્તન કરાવી છેતરપિંડી કરાઇ હોઈ તેને મદદ કરીને રક્ષણ આપીશું.