Sun. Sep 8th, 2024

ચેતવણી : સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર પર થશે કાર્યવાહિ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઇને રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે હાલમાં તાજેતરમાં જ રાજકોટમાં ખૂબ મોટી સંખ્યામાં માલધારી સમાજનાં લોકો એકત્ર થયા હતાં અને ઉગ્ર રેલી નીકાળી હતી. ત્યારે એ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો બીજી બાજુ ગુજરાત પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવાની પણ પોલીસ અપીલ કરી રહી છે.

અમદાવાદ પોલીસ: અમદાવાદ શહેર પોલીસે પણ જાહેર જનતાને અપીલ કરી છે કે, ધંધુકાના યુવકની હત્યા મામલે સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવામાં આવે. જો કોઇ ભડકાઉ ભાષણ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી સામે આવશે તો પોલીસ તેની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરશે. શહેરની દરિયાપુર પોલીસે જનતાને અપીલ કરતો આવો મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. તેમજ આ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે આથી લોકો પણ શાંતિ જાળવે તથા સુલેહ જળવાય તે માટે પણ પોલીસ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કચ્છનાં શેરડી ગામના એક યુવકની અટકાયત : અત્રે નોંધનીય છે કે, આજ રોજ તાજેતરમાં જ ધંધુકાનાં યુવક કિશન ભરવાડ હત્યા કેસમાં કચ્છનાં શેરડી ગામના યુવકની અટકાયત કરવામાં આવી છે. યુવકની હત્યા સંદર્ભે સોશિયલ મીડિયામાં ભડકાઉ ફોટો અને લખાણ મૂકનાર યુવાનની અટકાયત કરાઇ હતી. આ યુવાને કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓના ફોટો વોટ્સએપ રાખી અન્ય ધર્મની લાગણી દુભાય તેવું ઉશ્કેરણીજનક લખાણ મૂક્યું હતું. જેથી કચ્છ પોલીસે આરોપીની 152-B કલમ હેઠળ યુવકની અટકાયત કરી હતી. આથી પોલીસ સતત લોકોને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટથી દૂર રહેવાની તેમજ ભડકાઉ પોસ્ટ નહીં મૂકવાની અપીલ કરી રહી છે.

ધંધુકામાં થયેલી હત્યાના તાર ચારે બાજુ પહોંચ્યાં છે. ત્યારે તાજેતરમાં જમાલપુરનો મૌલવી અયુબ સાજન નામના યુવકની હત્યા કરવા પોરબંદર ગયો હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોરબંદર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને ચેતવણીરૂપી અપીલ કરીને ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ કરી રહી છે. આ સાથે એવી ચેતવણી પણ આપી છે કે, સોશિયલ મીડિયામાં ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ ન મૂકવામાં આવે અને જો કોઈ પણ જિલ્લામાં આવી હરકત કરશે તો પોલીસ ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મૂકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે. પોરબંદર પોલીસ દ્વારા વિવિધ ટીમો પણ તૈયાર કરાઇ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર હાલ પોલીસ સંપૂર્ણ વોચ રાખી રહી છે.

જૂનાગઢ પોલીસની અસામાજીક તત્વોને વોર્નિંગ : ધંધુકામાં બનેલ હત્યાના બનાવ સંદર્ભે અમુક આવારા તત્વો દ્રારા સોશિયલ મીડિયામાં ભડાકાઉ પોસ્ટ મુકવામાં આવે છે. ત્યારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્રારા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો ઉપર ખાસ વોચ રાખવામાં આવે છે અને તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાબરકાંઠા પોલીસ દ્વારા પણ ટ્વિટ કરીને ભડકાઉ પોસ્ટ ન કરવા અપીલ : ધંધુકામાં બનેલ હત્યાના બનાવ સંદર્ભે અસમાજિક તત્વો દ્રારા સોશ્યલ મીડિયામાં ભડાકાવ પોસ્ટ મુકવામાં આવે છે. સાયબર ક્રાઇમ સેલ ની ટીમ દ્રારા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો ઉપર ખાસ વોચ રાખવામાં આવે છે અને તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights