Sun. Sep 8th, 2024

સુરત: ઈજનેર યુવકે માનસિક તણાવમાં આવીને ફાંસો ખાધો,6 મહિના પહેલાં કોરોનામાં પિતાનું થયું હતું અવસાન

સુરત: એક સિવિલ ઇજનેરે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 6 મહિના પહેલાં પિતાનું કોરોના મહામારીમાં મૃત્યુ થયા બાદ ઋષિત માનસિક તણાવમાં રહેતો હતો. લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો ઋષિત દોઢ વર્ષથી ચાલતી મહામારીની બીમારીને લઈ આર્થિક ભીંસમાં આવી જતાં વધુપડતો તણાવમાં રહેતો હોવાનું નજીકના મિત્રોએ જણાવ્યું હતું. જોકે ઋષિતના આપઘાતનો લઈ પરિવારે મૌન ધારણ કર્યું હતું.

ઉમરા પોલીસે જણાવ્યું હતું કે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં બુધવારની મોડી સાંજે એક યુવાન ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા પર ચાદર સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં ઋષિત સિવિલ ઈજનેર હોવાનું અને લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે ઋષિતના આપઘાતને લઈ કોઈ કારણ જાણી શકાયું નહોતું નજીકના મિત્રોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે ઋષિત એક મહેનતુ અને પ્રામાણિક મિત્ર હતો. કોરોના મહામારીને લઈ વેપારધંધા પડી ભાંગતાં બેકાર થઈ ગયો હતો. એમ કહી શકાય કે આર્થિક ભીંસને લઈ માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. લગભગ 6 મહિના પહેલાં તેના પિતાનું પણ મહામારીમાં મૃત્યુ થતાં ઋષિત તણાવમાં રહેતો હતો.

ઋષિતના આપઘાત પાછળ બેરોજગારી અને આર્થિક ભીંસ જવાબદાર કહી શકાય છે. ઋષિતને ગ્રુપના ઘણા મિત્રોએ આર્થિક રીતે મદદ પણ કરી હતી. જોકે હાલ તેના આપઘાતના અંતિમ પગલાને લઈ તમામ મિત્રોએ એક સારો મિત્ર ગુમાવી દેતાં શોક વ્યક્ત કરી રહ્યા છે.સિવિલના પીએમ રૂમમાં ઉંદરોએ ઋષિતના મૃતદેહને કોતરતા પરિવાર રોષે ભરાયો હતો.

ઋષિત ઝવેરી નામના સિવિલ ઇજનેરે બુધવારની મોડી સાંજે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ પોલીસ પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવી હતી. આખી રાત પોસ્ટ મોર્ટમ રૂમમાં રહેલા ઋષિતના મૃતદેહને ઉંદરોઅ કોતરી ખાધું હોવાનું હાથ પરથી નિશાન મળી આવતા પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતાં. ઉંદરોના વધતા ત્રાસ સામે સિવિલના RMO સહિતના અધિકારીઓએ પોસ્ટ મોર્ટમ રૂમની મુલાકાત લઈ જલ્દી ઉદરોનો ત્રાસ દૂર કરાશે એવા આશ્વાસન આપ્યાં હતાં.

Related Post

Verified by MonsterInsights