Sun. Sep 8th, 2024

વોટસએપ ગ્રૂપમાં ‘જય શ્રી રામ’ લખનારાની NSUIમાંથી હકાલપટ્ટી

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના ઝારખંડ યુનિટમાં આજકાલ રાજકીય ઘમાસાણ મચેલુ છે અને તેની પાછળનુ કારણ પણ જય શ્રી રામનો નારો છે.ઝારખંડના એક જિલ્લાના એનએસયુઆઈના સત્તાવાર વોટસએપ ગ્રૂપ પર કેટલાક કાર્યકરોએ શુભકામનાઓ આપવા માટે જય શ્રી રામનો મેસેજ મુક્યો હતો અને આ મેસેજ મુકાવનારા સાત કાર્યકરોને જિલ્લા કમિટિ અધ્યક્ષ રોજ તિર્કીએ ત્રણ વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુક્યા છે.

જે કાર્યકરોની હકાલપટ્ટી થઈ છે તે હવે કહી રહ્યા છે કે, શું અમારા ભગવાનનુ નામ લખવાનુ પણ હવે અભદ્ર વ્યવહારની કેટેગરીમાં આવે છે?બીજી તરફ કમિટીના પ્રમુખ રોજ તિર્કીનુ માનવુ છે કે, જો એનએસયુઆઈના વોટસ એપ ગ્રૂપનો હિસ્સો બનવુ હોય તો જય શ્રી રામ લખી શકાય નહીં.

દરમિયાન સાત કાર્યકરોએ જિલ્લા કમિટી પ્રમુખના વલણ સામે વિરોધ કરીને દેખાવો કર્યા હતા અને કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ પણ બે જૂથમાં વહેંચાઈ છે. અહેવાલો પ્રમાણે તિર્કીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી અને એનએસયુઆઈ કોઈ એક ધર્મના પક્ષમાં નથી. જેમની હકાલપટ્ટી કરાઈ છે તે કાર્યકરોએ જિલ્લા અધ્યક્ષ સામે સતત પોસ્ટ મુકી હતી અને પાર્ટી સામે જૂથવાદને પ્રોત્સાહન આપ્યુ હતુ. પાર્ટીના નેતૃત્વ સામે નવી ટીમ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એટલા માટે જ તેમને ત્રણ વર્ષ માટે સંગઠનમાંથી બહાર કાઢી મુકાયા છે.

દરમિયાન કાઢી મુકાયેલા કાર્યકરોએ આ મુદ્દે રાજ્યના એનએસયુઆઈ પ્રમુખને પત્ર લખવાની જાહેરાત કરી છે. જ્યારે ભાજપે આ વિવાદને આગળ ધરીને કહ્યુ છે કે, કોંગ્રેસ પાર્ટીમાં જય શ્રી રામ બોલવુ પણ ગુનો છે.

Related Post

Verified by MonsterInsights